
ગંભીરની 4 ભૂલો: ભારત પર ફરી ક્લીન સ્વીપનું સંકટ
ટીમ ઈન્ડિયા ટેસ્ટમાં કેમ નિષ્ફળ? ગંભીરની કોચિંગ સામે સવાલો
ભારતીય ક્રિકેટ ટીમ માટે હાલ કપરા ચઢાણ સાબિત થઈ રહ્યા છે. ગુવાહાટી ટેસ્ટમાં ભારત હારની કગાર પર ઊભું છે, અને જો સાઉથ આફ્રિકા આ મેચ જીતી જશે તો કોલકાતા બાદ આ સિરીઝ પણ 2-0થી ક્લીન સ્વીપ કરી જશે. ગૌતમ ગંભીરના કોચિંગ હેઠળ છેલ્લા 13 મહિનામાં ભારત ઘરઆંગણે બીજી વખત ‘વ્હાઇટ વોશ’ થવાની તૈયારીમાં છે, અગાઉ 2024માં ન્યૂઝીલેન્ડે 3-0થી ભારતને હરાવ્યું હતું.
ક્રિકેટ નિષ્ણાતો અને પૂર્વ ક્રિકેટરો હવે ગંભીરની ટેસ્ટ રણનીતિ પર સવાલો ઉઠાવી રહ્યા છે. અતુલ વાસન જેવા દિગ્ગજો તો ગંભીરને ટેસ્ટમાંથી હટાવી રાહુલ દ્રવિડને પરત લાવવાની હિમાયત કરી રહ્યા છે. આ પતન પાછળ ગંભીરની ચાર મુખ્ય ભૂલો જવાબદાર માનવામાં આવે છે. પ્રથમ, ટીમમાં સ્પેશિયાલિસ્ટ બેટર્સની અછત છે; માત્ર 3 બેટર્સ સાથે ઉતરવાની જીદમાં મિડલ ઓર્ડર તૂટી રહ્યો છે. બીજી ભૂલ બેટિંગ ઓર્ડરમાં સતત ફેરફાર છે; નંબર-3 અને 5 પર કોઈ સ્થિરતા નથી.
ત્રીજી અને સૌથી મોટી સમસ્યા સ્ટ્રાઈક સ્પિનરની ગેરહાજરી છે. અશ્વિનની નિવૃત્તિ બાદ વોશિંગ્ટન સુંદર કે અક્ષર પટેલ વિકેટ ટેકર સાબિત થઈ શક્યા નથી. ચોથી ભૂલ ઓલરાઉન્ડર્સ પરનો અંધવિશ્વાસ છે; જાડેજા સિવાયના ઓલરાઉન્ડર્સ ટેસ્ટ ફોર્મેટમાં ખાસ પ્રભાવ પાડી શક્યા નથી. ગંભીરે T20 અને વન-ડેમાં સફળતા અપાવી છે, પરંતુ ટેસ્ટ ક્રિકેટમાં ભારત જે રીતે ઘરઆંગણે 12 વર્ષમાં માત્ર 4 મેચ હાર્યું હતું, તે હવે 13 મહિનામાં જ 4 મેચ હારી ચૂક્યું છે. જો ગુવાહાટીમાં હાર મળી તો આ એક ઐતિહાસિક પતન ગણાશે.
સમાચાર માટે જોડાઓ અમારા WhatsApp ગ્રુપ સાથે https://whatsapp.com/channel/0029Vb6fknQ89inqYaFp2b3l
