
ગડકરીએ 20 હજાર કરોડ આપ્યા પણ રાજકોટ હાઈવે ભુલાયો
નીતિન ગડકરીએ 20 હજાર કરોડ મંજૂર કર્યા, રાજકોટ હાઈવેની બાદબાકી
ગુજરાતના પ્રવાસે આવેલા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી અને ઉચ્ચ અધિકારીઓ સાથે મેરેથોન બેઠક યોજી હતી. આ બેઠકના અંતે ગુજરાતને નેશનલ હાઈવેના કામો માટે ગડકરીએ 20 હજાર કરોડ જેવી માતબર રકમ મંજૂર કરવાની જાહેરાત થઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના હાઈવે પરના ટ્રાફિક ભારણને ધ્યાને લઈ રસ્તાઓના રિપેરીંગ અને વાઈડનિંગ માટે રજૂઆત કરી હતી.
ખાસ કરીને અમદાવાદ-મુંબઈ, રાજકોટ-ગોંડલ અને અમદાવાદ-ઉદેપુર હાઈવેના કામોને અગ્રતા આપવા ચર્ચા થઈ હતી. નીતિન ગડકરીએ પણ આકરા તેવર બતાવતા સ્પષ્ટ કહ્યું હતું કે, રોડના કામમાં ગુણવત્તા સાથે કોઈ બાંધછોડ નહીં ચાલે. જો કોઈ ઈજારદાર કામમાં ઢીલ કરશે કે બેદરકારી દાખવશે તો તેને સીધો બ્લેકલિસ્ટ કરી દેવામાં આવશે.
પરંતુ આ તમામ જાહેરાતો વચ્ચે એક મોટી ખોટ વર્તાઈ હતી. છેલ્લા સાત વર્ષથી જેના કામના ઠેકાણા નથી તેવા રાજકોટ-અમદાવાદ સિક્સ લેન હાઈવેનો મુદ્દો આ બેઠકમાં ચર્ચાયો જ નહીં. સત્તાવાર રીતે જાહેર થયેલી વિગતોમાં ક્યાંય આ હાઈવેની સ્થિતિ અંગે ઉલ્લેખ નથી. લોકો રોજ ટ્રાફિક અને ડાયવર્ઝનથી પરેશાન છે, છતાં સરકારની પ્રાયોરિટી લિસ્ટમાંથી આ હાઈવે કેમ વિસરાઈ ગયો તે એક મોટો પ્રશ્ન છે. શું તંત્ર જાણી જોઈને આ મુદ્દો ગડકરી સામે લાવવાનું ટાળી ગયું? તેવા સવાલો હવે ઉઠી રહ્યા છે.
સમાચાર માટે જોડાઓ અમારા WhatsApp ગ્રુપ સાથે https://whatsapp.com/channel/0029Vb6fknQ89inqYaFp2b3l
