
રાજકોટ હનુમાન મઢી સિગ્નલ પર શૌચાલયની દુર્ગંધ, લોકો ત્રસ્ત
રાજકોટ: હનુમાન મઢી સિગ્નલ પર શૌચાલય દુર્ગંધનું કારણ, દૂર કરવાની માંગ
રાજકોટ: રાજકોટ મહાપાલિકાના અધિકારીઓ ભલે શહેરના કૂદકે ને ભૂસકે થઈ રહેલા વિકાસના દાવા કરતા હોય, પરંતુ શહેરની એક ગંભીર સમસ્યા તેમના આ દાવાઓની પોકળતા છતી કરે છે. આ સમસ્યા છે હનુમાન મઢી ટ્રાફિક સિગ્નલ પર વર્ષોથી ખડકાયેલા શૌચાલયની, જે આજે હજારો વાહનચાલકો માટે સજારૂપ બની ગયું છે.
ટ્રાફિક કંટ્રોલ કરવા માટે અહીં સિગ્નલ મુકાયું ત્યારે તંત્રની બેદરકારીને કારણે આ શૌચાલયને ખસેડવાનો ખ્યાલ આવ્યો ન હતો, અને આજે તે સિગ્નલ પર ઊભા રહેતા વાહનચાલકો માટે દુર્ગંધનું કેન્દ્ર બની ગયું છે.

વ્યવસાયિકો અને વાહનચાલકો ત્રાહિમામ: સિગ્નલ પર સવાર, બપોર અને સાંજે ટ્રાફિક જામ થતા વાહનચાલકોને બરાબર શૌચાલય પાસે ઊભું રહેવું પડે છે, અને આસપાસના મેડિકલ સ્ટોર, હોટેલ, જનઔષધિ કેન્દ્ર અને દૂધની ડેરી સહિતના વ્યવસાયિકો પણ સતત દુર્ગંધથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
`વોઈસ ઓફ ડે’ દ્વારા સ્થાનિકોની વાત જાણવામાં આવી ત્યારે તેઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ શૌચાલયનો ઉપયોગ ઓછો અને દુરુપયોગ વધુ થઈ રહ્યો છે. અહીં શૌચાલયની વ્યવસ્થિત સફાઈ થતી નથી અને તેમાં દારૂની કોથળીઓ તથા બોટલો સહિતનો કચરો એકઠો થાય છે, જેનાથી ગંદકી વધી રહી છે.
તાત્કાલિક પગલાં લેવાની માંગ: તંત્ર દ્વારા લોકોની સુવિધા માટે બનાવેલું આ શૌચાલય હવે સુવિધા ઓછી અને દુવિધા વધુ ઊભી કરી રહ્યું છે. સ્થાનિકોની સ્પષ્ટ માંગ છે કે આ શૌચાલયને કાં તો અન્ય કોઈ યોગ્ય સ્થળે ખસેડવામાં આવે અથવા તેને દૂર જ કરી દેવામાં આવે, કેમ કે તેનો ઉપયોગ હવે ઘટી ગયો છે. જો આ શૌચાલય દૂર કરવામાં આવે તો નિર્મલા રોડ તરફ જવા માંગતા ડાબી બાજુના વાહનચાલકોને અવરજવર માટે જગ્યા મળી રહેશે અને ટ્રાફિક સરળ બનશે. જો તંત્ર આ `ઈલાજ’ નહીં કરે તો લોકો આંદોલન માટે રસ્તા પર ઉતરવાની ચીમકી આપી રહ્યા છે.
સમાચાર માટે જોડાઓ અમારા WhatsApp ગ્રુપ સાથે https://whatsapp.com/channel/0029Vb6fknQ89inqYaFp2b3l
