
રાજકોટ મનપાનો સ્થાપના દિન, 550 કરોડના વિકાસ કાર્યોની ભેટ
મુખ્યમંત્રીના હસ્તે રાજકોટમાં 550 કરોડના કામોનું લોકાર્પણ, કોમ્યુનિટી હોલ ભેંટ
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનો સ્થાપના દિન તા. 19 નવેમ્બરે ઉજવાશે. આ અવસરે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે શહેરના વિવિધ વિસ્તારોમાં રૂ. 550 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે.
કલેકટર મારફતે મનપાએ સરકારને વિવિધ પ્રોજેક્ટોની યાદી મોકલી હતી, જેને મંજૂરી મળી ગઈ છે. સત્તાવાર કાર્યક્રમની જાહેરાત ટૂંક સમયમાં થશે. શહેરના ત્રણેય ઝોનમાં બનેલા કોમ્યુનિટી હોલમાંથી સંતોષ પાર્ક મેઇન રોડ ઉપર આવેલ અદ્યતન હોલનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે થશે. આ હોલ શહેરવાસીઓને આધુનિક સુવિધાઓ સાથે ઉપલબ્ધ થશે.
આ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી દ્વારા આવાસ યોજનાનો ડ્રો પણ યોજાશે અને અનેક વિકાસ પ્રોજેક્ટોની શરૂઆત થશે. શહેર માટે આ કાર્યક્રમને “વિકાસ ભેટ” તરીકે જોવામાં આવી રહ્યો છે.
કોર્પોરેશન અને કલેક્ટર તંત્ર કાર્યક્રમની અંતિમ મંજૂરી અને પ્રોટોકોલની રાહ જોઇ રહ્યું છે. સાંજે રેસકોર્સ મેદાન ખાતે સંગીત સંધ્યાનું આયોજન પણ રાખવામાં આવ્યું છે, જેમાં મુખ્યમંત્રી હાજર નહીં રહે પરંતુ કાર્યક્રમનું ઉદ્ઘાટન પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે થશે.
સમાચાર માટે જોડાઓ અમારા WhatsApp ગ્રુપ સાથે https://whatsapp.com/channel/0029Vb6fknQ89inqYaFp2b3l
