
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો સૌરાષ્ટ્ર પ્રવાસ: ૯મીએ રાજકોટ આગમન, સાસણ-સોમનાથની મુલાકાત
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો સૌરાષ્ટ્ર પ્રવાસ: ૯મીએ રાજકોટ આગમન, સાસણ-સોમનાથ જવાની શક્યતા
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આગામી ૧૦ અને ૧૧ તારીખના રોજ સૌરાષ્ટ્રના પ્રવાસે આવી રહ્યા છે, જે માટે વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ૯મી તારીખે બપોર બાદ દિલ્હીથી સીધા જ રાજકોટના હીરાસર એરપોર્ટ ખાતે ઉતરાણ કરશે. એરપોર્ટ પરથી તેઓ બાય રોડ રાજકોટ સર્કિટ હાઉસ ખાતે પહોંચશે અને ત્યાં રાત્રી રોકાણ કરશે.
સર્કિટ હાઉસ ખાતે રાત્રી રોકાણ કર્યા બાદ, તેઓ વહેલી સવારે રાજકોટ એરપોર્ટ ખાતેથી હેલિકોપ્ટર મારફત સાસણ જવા રવાના થશે. રાષ્ટ્રપતિના બે દિવસના સૌરાષ્ટ્ર પ્રવાસ દરમિયાન તેઓ સાસણ ખાતે સિંહ દર્શન કરવા જાય અને ત્યારબાદ સોમનાથની મુલાકાત લે તેવી પ્રબળ શક્યતાઓ છે. આ ઉપરાંત, તેઓ રાજકોટમાં પણ એકાદ કાર્યક્રમમાં હાજરી આપે તેવી સંભાવના છે.
રાષ્ટ્રપતિના પ્રવાસને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા સુરક્ષા અને વ્યવસ્થા માટેની તૈયારીઓ પુરજોશમાં શરૂ કરી દેવાઈ છે. તેમના રોકાણ માટે સર્કિટ હાઉસ સંપૂર્ણ બુક કરવામાં આવ્યું છે, તેમજ સંભવિત તબીબી કટોકટી માટે સિવિલ હોસ્પિટલમાં એક ખાસ વોર્ડ પણ ઊભો કરવામાં આવ્યો છે. તમામ પ્રાંત અધિકારીઓ, મામલતદાર અને નાયબ મામલતદાર સહિતના અધિકારીઓને જવાબદારી સોંપી દેવામાં આવી છે.
