
રાજકોટમાં સરદાર પટેલ જન્મજયંતિની ભવ્ય પદયાત્રા
રાજકોટમાં સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય પદયાત્રા
ભવ્ય પદયાત્રા :દેશના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે રાજકોટ શહેરના 69 વિધાનસભા ક્ષેત્રમાં જિલ્લા કક્ષાની ભવ્ય પદયાત્રાનું આયોજન બહુમાળી ભવન ચોક ખાતેના સરદાર પટેલ સ્ટેચ્યુથી પ્રારંભ થયું. કાર્યક્રમની શરૂઆત સરદાર પટેલને ફૂલહાર અર્પણ કરતાં અને ‘એકતા’ના શપથ સાથે રંગારંગ કાર્યક્રમોથી થઈ હતી.
મેયર નયનાબેન પેઢડીયાએ પોતાના સંબોધનમાં રાષ્ટ્રપ્રેમ, દુરંદેશી દૃષ્ટિ અને સંગઠનશક્તિના પ્રતિક સરદાર પટેલના વિચારોથી પ્રેરણા લઈ વિકસિત ભારત નિર્માણ માટે સૌને જવાબદાર બનવાની અપીલ કરી. તેમણે રાજકોટ સહિત દેશના શહેરોને વધુ સ્વચ્છ, સુંદર અને પ્રગતિશીલ બનાવવાનું સૌનું સંયુક્ત ધ્યેય હોવું જોઈએ એમ જણાવ્યું.
ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહે અખંડ ભારતનું સ્વપ્ન સાકાર કરનાર સરદાર પટેલના યોગદાનને યાદ કરતાં રાષ્ટ્ર એકતા જ ભારતની શક્તિ હોવાનું રેખાંકિત કર્યું. કાર્યક્રમમાં સાંસદો, ધારાસભ્યો અને અનેક મહાનુભાવોએ સ્ટેચ્યુને પુષ્પાંજલિ અર્પણ કરી યુનિટી ફ્લેગ દર્શાવી રેલીને પ્રસ્થાન કરાવ્યું.
પદયાત્રામાં સરદાર પટેલ, મહાત્મા ગાંધી અને સ્વાતંત્ર્યસેનાનીઓના વેશમાં વિદ્યાર્થીઓએ ખાસ આકર્ષણ પામ્યું. સમગ્ર રૂટ પર વિવિધ સંસ્થાઓ દ્વારા સ્વાગત, રાસ–ગરબા અને સાંસ્કૃતિક કાર્યક્રમોની જમાવટ જોવા મળી.
આ આયોજનને સફળ બનાવવા રમતગમત–સાંસ્કૃતિક વિભાગ, મહાનગરપાલિકા, આરોગ્ય વિભાગ, શાળા–કોલેજો, સામાજિક સંસ્થાઓ અને વહીવટી તંત્રનો વિશેષ સહકાર મળ્યો હતો. મોટી સંખ્યામાં નગરજનોની ઉપસ્થિતિએ સરદાર પટેલ પ્રત્યેની આદરભાવને ઉજાગર કર્યો.
સમાચાર માટે જોડાઓ અમારા WhatsApp ગ્રુપ સાથે https://whatsapp.com/channel/0029Vb6fknQ89inqYaFp2b3l
