
રાજકોટ રસ્તાની સમસ્યા RAJKOT RMC બેઠક
Rajkot RMC: ખરાબ રસ્તા મુદ્દે મેયર-પદાધિકારીઓએ અધિકારીઓને ઝાડ્યા
Rajkot RMC રાજકોટ મહાપાલિકાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે, તેમ-તેમ શહેરમાં ખરાબ રોડ-રસ્તાનો મુદ્દો શાસક પક્ષ માટે માથાનો દુખાવો બની રહ્યો છે. વરસાદના કારણે રિપેરિંગના કામો અટવાયા છે, જેના પગલે લોકોનો રોષ હવે હદ બહાર જઈ રહ્યો છે.
સૌથી વધુ તણાવની સ્થિતિ શાસક પક્ષના નેતા લીલુબેન જાદવના વોર્ડ નં. 11માં જોવા મળી છે, જ્યાં ખરાબ રસ્તાઓને લઈને લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને આંદોલન કરવા મજબૂર બન્યા હતા. લોકો તરફથી સતત આપણા કોર્પોરેટરોનું કશું ઉપજતું જ નથી’ તેવા ટોણા અને ચૂંટણીમાં હવે જોઈ લેશું’ તેવી ગર્ભિત ચેતવણી કોર્પોરેટરો સુધી પહોંચતા રાજકીય ગરમાવો આવ્યો હતો. વોર્ડના કોર્પોરેટરોએ હવે લોકોને જવાબ આપવા અઘરા થઈ ગયા છે’ તેવી રજૂઆત ઉપર’ સુધી કરી હતી.
આ પરિસ્થિતિ ત્યારે સર્જાઈ જ્યારે તાજેતરમાં જ વોર્ડ નં. 12ના નગરસેવિકા અસ્મિતાબેન દેલવાડિયાના પતિ મૌલિક દેલવાડિયા આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા હતા, જેના પડઘા હજુ શમ્યા નથી. ખરાબ રસ્તા સમયસર રિપેર ન થવા, નવા સુચવાયેલા કામો પર ધ્યાન ન અપાવું અને મંજૂર થયેલા કામો સમયસર શરૂ ન થવાથી લોકોના રોષનો ભોગ બનવું પડતું હોવાનું કોર્પોરેટરોનું પણ કહેવું હતું.
રજૂઆતો બાદ પરિસ્થિતિની ગંભીરતા જોતા મેયર નયનાબેન પેઢડિયા, પ્રદેશ ઉપપ્રમુખ ડૉ. ભરત બોઘરા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર સહિતના પદાધિકારીઓએ વેસ્ટ ઝોન ખાતે તાકિદની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં અધિકારીઓને હાજર રાખીને કામમાં વિલંબ, રજૂઆતો ધ્યાને ન લેવા સહિતના મુદ્દે પદાધિકારીઓએ તેમનો ક્લાસ લીધો હોવાનું જાણવા મળ્યું છે.
વોર્ડ નં. 11ના કોર્પોરેટર લીલુબેન જાદવ બેઠકમાં ગેરહાજર રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે પરિવારમાં નિધન થયું હોવાથી તેઓએ મોવડીઓને જાણ કરી હતી. જોકે, જાણકારોના મતે વોર્ડનો એક પણ કોર્પોરેટર બેઠકમાં હાજર નહોતો
સમાચાર માટે જોડાઓ અમારા WhatsApp ગ્રુપ સાથે https://whatsapp.com/channel/0029Vb6fknQ89inqYaFp2b3l
