
રાજકોટ ‘કમલમ’ મિલકત વેરા વિવાદ: ભાજપે કોંગ્રેસના આક્ષેપોને નકાર્યા
રાજકોટ ‘કમલમ’ મિલકત વેરા વિવાદ: કોંગ્રેસના આક્ષેપો પાયાવિહોણા, નિયમ મુજબ જ કાર્યવાહી થશે – ભાજપ
રાજકોટ: રાજકોટ શહેર ભાજપના કાર્યાલય ‘કમલમ’ના મિલકત વેરાને લઈને રાજકારણ ગરમાયું છે. ગઈકાલે શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ આરોપ લગાવ્યો હતો કે, સામાન્ય નાગરિકોને પેનલ્ટી ફટકારતી મહાનગરપાલિકા દ્વારા ‘કમલમ’નો બે વર્ષથી વેરો લેવામાં આવ્યો નથી, અને 6000 સ્ક્વેર ફૂટના બાંધકામની આકારણી પણ કરાઈ નથી.
આ આક્ષેપોના જવાબમાં આજે રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર અને શહેર ભાજપના અધ્યક્ષ માધવ દવેનું નિવેદન સામે આવ્યું હતું.
સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરે કોંગ્રેસના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતા અને વળતો પ્રહાર કરતા કહ્યું હતું કે, કોંગ્રેસને નિયમોની જાણકારી નથી. તેમણે સ્પષ્ટતા કરી કે, નિયમ મુજબ કોઈપણ બિલ્ડિંગને કમ્પ્લીશન સર્ટિફિકેટ મળ્યા બાદ જ વેરાની આકારણી કરવામાં આવે છે. ‘કમલમ’ને હજી સુધી સર્ટિફિકેટ મળ્યું ન હોવાથી આકારણી થઈ નથી. તેમણે ખાતરી આપી હતી કે, આકરણી થયા બાદ નિયમ મુજબ વેરો ચૂકવી દેવામાં આવશે.
ભાજપના અધ્યક્ષ માધવ દવેએ પણ આ વાતનું સમર્થન કર્યું હતું. જયમીન ઠાકરે કટાક્ષ કર્યો હતો કે, સાડા ચાર વર્ષથી સૂતેલી કોંગ્રેસ ચૂંટણી આવતા જાગીને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહી છે. ભાજપે સ્પષ્ટ કર્યું કે કોઈ પણ સંસ્થા મિલકત વેરામાંથી મુક્ત નથી.
