
અમરેલી: નાજાપુર બસ સ્ટેન્ડે સુવિધા માટે રજૂઆત
નાજાપુર બસ સ્ટેન્ડે પંખા-પાણી માટે યુવાની રજૂઆત
નાજાપુર બસ :વિકાસની વાતો વચ્ચે ઘણીવાર ગ્રામીણ વિસ્તારની પાયાની સમસ્યાઓ નજરઅંદાજ થતી હોય છે. આવું જ કંઈક અમરેલી જિલ્લાના નાજાપુર ગામમાં જોવા મળી રહ્યું છે. અહીંનું બસ સ્ટેન્ડ મુસાફરો માટે આશરા સમાન તો છે, પરંતુ સુવિધાઓના નામે મીંડું હોવાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જોકે, હવે આ ચિત્ર બદલવા માટે ગામના જ એક ઉત્સાહી યુવા અગ્રણી કૌશિક પાનસુરિયાએ કમર કસી છે.
બસ સ્ટેન્ડ પર ઉનાળામાં શેકતી ગરમી વચ્ચે પંખા નથી, રાત્રે અંધારપટ હોવા છતાં લાઈટ નથી અને સૌથી મહત્વનું એટલે કે પીવાના પાણીની કોઈ વ્યવસ્થા નથી. આ તમામ સમસ્યાઓને વાચા આપવા માટે કૌશિક પાનસુરિયાએ ‘તાલુકા સ્વાગત કાર્યક્રમ’ના મંચનો ઉપયોગ કર્યો છે. તેમણે અધિકારીઓ સમક્ષ બસ સ્ટેન્ડની વાસ્તવિકતા રજૂ કરી અને મુસાફરોની વેદના ઠાલવી હતી. તેમની માંગ સ્પષ્ટ અને સીધી છે – બસ સ્ટેન્ડનું આધુનિકીકરણ કરવામાં આવે અને મુસાફરોને માનભેર સુવિધા મળે.
કૌશિકભાઈની આ રજૂઆતને પગલે નાજાપુર ગામના લોકોમાં પણ આશાનો સંચાર થયો છે. ગ્રામજનોનું કહેવું છે કે આજ સુધી અનેક રજૂઆતો થઈ પણ પરિણામ ન મળ્યું, પરંતુ સ્વાગત કાર્યક્રમમાં થયેલી આ સત્તાવાર રજૂઆતથી ચોક્કસ બદલાવ આવશે. આ માત્ર સુવિધાની વાત નથી, પણ મુસાફરોના હકની વાત છે. સ્થાનિકોને આશા છે કે સંબંધિત તંત્ર આળસ ખંખેરીને તાત્કાલિક ધોરણે નાજાપુર બસ સ્ટેન્ડે લાઈટ, પંખા અને પાણીની વ્યવસ્થા ઊભી કરશે.
અહેવાલ મનિષ રામાણી અમરેલી
