
કાલાવડ રોડ રી-કાર્પેટની તૈયારી; પાણી નિકાલનું કામ શરૂ
રાજકોટ: કાલાવડ રોડ પર અક્ષર મંદિર પાસે નવી ડ્રેનેજ પાઇપલાઇન
રાજકોટ કાલાવડ. શહેરમાં ચોમાસાનો માહોલ હવે વિખેરાઇ ગયો છે, ત્યારે રાજકોટ મહાનગરપાલિકા (RMC) દ્વારા શહેરના ક્ષતિગ્રસ્ત માર્ગો પર ફરી ડામર કામ અને પેચવર્ક શરૂ કરવાની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.
ચાલુ વર્ષે પડેલા ભારે વરસાદને કારણે શહેરના લગભગ તમામ વોર્ડના મુખ્ય માર્ગોને નુકસાન પહોંચ્યું છે, જેના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. જોકે, રૈયા રોડ જેવા કેટલાક રાજમાર્ગો પર ડામર કામ પૂર્ણ થતાં રાહત મળી છે.
આ શ્રેણીમાં, ગૌરવપથ કાલાવડ રોડને સંપૂર્ણપણે રી-કાર્પેટ (સંપૂર્ણ નવો ડામર રોડ બનાવવો) કરવાનો નિર્ણય લેવાયો છે. જોકે, આ કામ શરૂ કરતાં પહેલાં મનપાએ એક મહત્ત્વનો પ્રશ્ન ઉકેલવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
મકરપુરા એરફોર્સ રોડથી મહિલા કોલેજ અંડરબ્રીજથી શરૂ થતા કાલાવડ રોડ પર, ખાસ કરીને અક્ષર મંદિર પાસે ચોમાસામાં પાણી ભરાવાનો ગંભીર પ્રશ્ન રહે છે, જેનાથી ટ્રાફિક જામ પણ થાય છે.
આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે, મનપાએ ચોમાસા બાદ તુરંત જ મોટી સ્ટોર્મ વોટર ડ્રેનેજ પાઇપલાઇન નાંખવાનું કામ હાથ પર લીધું છે. હાલ મંદિરની દિવાલથી રોડ ક્રોસ કરીને બાન લેબ્સ બિલ્ડીંગના ખૂણા સુધી ભૂગર્ભ પાઇપલાઇન પાથરવામાં આવી રહી છે,
જેથી વરસાદનું પાણી અંડરગ્રાઉન્ડ જ રોડ ક્રોસ કરી નિકાલ પામી શકે. મનપાના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ પાઇપલાઇનનું કામ થોડા દિવસોમાં પૂર્ણ થયા બાદ તરત જ કાલાવડ રોડ પર રી-કાર્પેટિંગનું કામ શરૂ કરવામાં આવશે.
