
ખોડલધામ કેન્સર હોસ્પિટલ માસ્ટર પ્લાન: નરેશભાઈ પટેલે કરી જાહેરાત
ખોડલધામ કેન્સર હોસ્પિટલ: રાજકોટમાં 220 બેડનો પ્લાન જાહેર
રાજકોટના અમરેલી ગામ પાસે ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના માધ્યમથી સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ઐતિહાસિક કાર્યની શરૂઆત થઈ ચૂકી છે. ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલ અને ટાટા મેમોરિયલ હોસ્પિટલના પદ્મશ્રી ડો. રાજેન્દ્ર બડવેની ઉપસ્થિતિમાં ‘ખોડલધામ કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ’નો સંપૂર્ણ પ્રોજેક્ટ લે-આઉટ આજે જાહેર કરવામાં આવ્યો હતો. આ પ્રેઝન્ટેશનમાં હોસ્પિટલની ડિઝાઈન, આધુનિક ઈન્ટિરિયર અને વૈશ્વિક કક્ષાની સુવિધાઓની ઝલક જોવા મળી હતી.
નરેશભાઈ પટેલે જણાવ્યું કે, 43 એકર જમીન પર બનનારા આ સંકુલના પ્રથમ તબક્કામાં 220 બેડની હોસ્પિટલનું કામ 3 વર્ષમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે. આ હોસ્પિટલના નિર્માણમાં દેશની પ્રતિષ્ઠિત એઈમ્સ જેવી હોસ્પિટલ બનાવનાર નિષ્ણાત એન્જિનિયરો જોડાશે. ડો. રાજેન્દ્ર બડવેના માર્ગદર્શન હેઠળ અહીં કેન્સરની જટિલમાં જટિલ સારવાર ઉપલબ્ધ કરાશે. દર્દીઓને હોસ્પિટલ જેવો અનુભવ ન થાય અને માનસિક રીતે મજબૂત બને તે માટે અત્યંત ‘પોઝિટિવ’ અને શાંત વાતાવરણ પ્રદાન કરતી ડિઝાઈન પસંદ કરવામાં આવી છે.
માત્ર સારવાર જ નહીં, પરંતુ કેન્સરના કારણો શોધવા અને તેના અટકાવવા માટે અહીં એક અત્યાધુનિક રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ પણ સ્થાપવામાં આવશે. નરેશભાઈએ આ પ્રસંગે કેન્સર મુક્ત સમાજ માટે પ્રાકૃતિક ખેતી અને જમીન સુધારણા પર પણ ભાર મૂક્યો હતો. હોસ્પિટલ પરિસરમાં જ દર્દીઓના પરિવારો માટે નિવાસસ્થાનની સુવિધા ઊભી કરાશે. આ પ્રોજેક્ટ સૌરાષ્ટ્ર-કચ્છના લાખો લોકો માટે વરદાન સાબિત થશે, જેમને અત્યાર સુધી કેન્સરની સારવાર માટે અમદાવાદ કે મુંબઈ સુધી લાંબા થવું પડતું હતું. ખોડલધામનું આ પગલું શિક્ષણ અને આરોગ્યની સાથે પર્યાવરણ જતનના અભિયાનને પણ નવો વેગ આપશે. રાજકીય અને સામાજિક સ્તરે આ પ્રોજેક્ટને ગુજરાતની ‘સ્વાસ્થ્ય શક્તિ’ તરીકે જોવામાં આવી રહ્યો છે.
સમાચાર માટે જોડાઓ અમારા WhatsApp ગ્રુપ સાથે https://whatsapp.com/channel/0029Vb6fknQ89inqYaFp2b3l
