
વરસાદના કારણે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત: માત્ર સંતોની યાત્રા
ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત: માત્ર સંતો કરશે પ્રતિકાત્મક યાત્રા
જૂનાગઢ. કારતક સુદ અગિયારસથી પૂનમ દરમિયાન યોજાતી ગરવા ગિરનાર પર્વતની પવિત્ર ‘લીલી પરિક્રમા’ ને આ વર્ષે કમોસમી અને અનરાધાર વરસાદના કારણે સ્થગિત કરવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ નિર્ણય વહીવટી તંત્ર અને ગિરનારના સાધુ-સંતો વચ્ચે યોજાયેલી સંયુક્ત બેઠકમાં સર્વસંમતિથી લેવાયો છે.
છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા અતિભારે વરસાદના કારણે પરિક્રમાનો આશરે ૩૬ કિલોમીટરનો સમગ્ર માર્ગ ખરાબ રીતે ધોવાઈ ગયો છે. અનેક જગ્યાએ રસ્તા પર કાદવ અને મોટા ખડકો ફેલાઈ જતાં રૂટ અત્યંત બિસ્માર અને જોખમી બની ગયો છે. વહીવટી તંત્રના મતે, આ ખરાબ થયેલા રૂટ પર લાખો શ્રદ્ધાળુઓને પગપાળા ચાલવા દેવું તેમના જીવનું જોખમ લેવા સમાન છે. તેથી, રૂટ સલામત ન બને ત્યાં સુધી યાત્રાને સ્થગિત કરી દેવામાં આવી છે.
જોકે, સનાતન ધર્મની પવિત્ર પરંપરા તૂટે નહીં તે માટે સાધુ-સંતોએ એક મહત્ત્વનો નિર્ણય કર્યો છે. પ્રતિકાત્મક પરિક્રમા દ્વારા ધાર્મિક વિધિ જાળવવામાં આવશે. આ માટે પહેલી નવેમ્બરના મુહૂર્ત બાદ બીજી નવેમ્બરના રોજ માત્ર ગિરનારના સાધુ-સંતો જ આ પ્રતિકાત્મક પરિક્રમામાં જોડાશે.
સામાન્ય શ્રદ્ધાળુઓ માટે પરિક્રમા રૂટ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. તંત્ર દ્વારા દૂર-દૂરથી આવનારા લાખો ભક્તોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ આ નિર્ણયનું સન્માન કરીને આગામી જાહેરાત ન થાય ત્યાં સુધી ગિરનાર તરફ પ્રયાણ ન કરે. આ નિર્ણયથી પરિક્રમાના દર્શન માટે ઉત્સુક ભક્તોમાં નિરાશા વ્યાપી છે.
સમાચારોના સતત અપડેટ માટે વ્હોટસએપ ગ્રુપમાં જોડાવો..
https://whatsapp.com/channel/0029Vb6fknQ89inqYaFp2b3l
