
ખેડૂત આક્રોશ યાત્રા: દેવા માફી માટે કોંગ્રેસની લડત
કોંગ્રેસની ખેડૂત આક્રોશ યાત્રા: દેવા માફીની માંગ સાથે કેશોદ ખાતે જંગી સભા
કેશોદ: કોંગ્રેસ દ્વારા સોમનાથથી શરૂ કરાયેલી ખેડૂત આક્રોશ યાત્રા વેરાવળ, તાલાલા, માળિયા થઈ રાત્રિના કેશોદ ખાતે જંગી સભા સાથે સંપન્ન થઈ હતી.
કમોસમી વરસાદને કારણે થયેલા નુકસાનના આક્રોશને વાચા આપવા શરૂ કરાયેલી આ યાત્રાનું ખેડૂતોએ ઠેર ઠેર સ્વાગત કર્યું હતું અને દેવા માફીની માંગને સમર્થન આપ્યું હતું.
પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ તાલાલાના સેમરવાવ-દેવળી ગામ ખાતે ખેતરમાં રૂબરૂ જઈને ખેડૂતોની આપવીતી સાંભળી હતી અને આશ્વાસન આપ્યું હતું કે ખેડૂતોનું દેવું માફ થાય તે માટે કોંગ્રેસ લડત શરૂ રાખશે.
તેમણે સ્પષ્ટ કર્યું કે આ યાત્રા ચૂંટણી માટે નહીં, પરંતુ જગતનો તાત જ્યારે મુશ્કેલીમાં હોય ત્યારે તેના આક્રોશને વાચા આપવા માટે છે. તેમણે ઉદ્યોગપતિઓના દેવા માફ થતા હોવા છતાં ખેડૂતોનું દેવું માફ ન કરવા બદલ સરકારને ઘેરી હતી.
સભામાં મુખ્ય નારો ગુંજ્યો હતો કે, “ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ… નહીં તો ભાજપ સાફ…” અને “કુદરત રૂઠી… સરકાર જૂઠી…”
સેવા દળ પ્રમુખ લાલજી દેસાઈએ આક્રમક ઉદ્બોધન કરતા કહ્યું કે, “કમળ કાદવમાં ખીલે પણ હવે કાદવ નકરો ગંધાય છે, કાદવ આપણા ભાગમાં આવે છે અને કમળની ઉપર જે લક્ષ્મી વસે એ ભાજપના નેતાઓ લઇ જાય છે.
” પૂર્વ ધારાસભ્ય લલિત કગથરાએ ખેડૂતોને જ્ઞાતિ-જાતિના રાજકારણથી ઉપર ઉઠીને ‘ખેડૂત તરીકે’ રહેવા હાકલ કરી. જિલ્લા પ્રમુખ પૂંજા વંશે વડાપ્રધાનના ભૂતકાળના ભાષણો સંભળાવી વિરોધાભાસને ઉજાગર કર્યો હતો.
યાત્રા દ્વારા સંપૂર્ણ દેવા માફી, પાક યોજના અને ખોટી જમીન માપણી રદ કરવા જેવી મુખ્ય માંગણીઓ કરવામાં આવી છે.
રિપોર્ટ હાર્દિક ચંદારાણા
સમાચાર માટે જોડાઓ અમારા WhatsApp ગ્રુપ સાથે https://whatsapp.com/channel/0029Vb6fknQ89inqYaFp2b3l
