
ખોડલ ધામ કાગવડ ખાતે રંગાણી પરિવાર દ્વારા ધ્વજા રોહણ
કાગવડ ખોડલ ધામ: રંગાણી પરિવાર દ્વારા દિવ્ય ધ્વજા રોહણ
કાગવડ : લેઉવા પટેલ સમાજના કરોડો ભક્તોની આસ્થાનું કેન્દ્ર અને પવિત્ર યાત્રાધામ શ્રી ખોડલ ધામ, કાગવડ ખાતે આજે શુક્રવાર, ૦૭ નવેમ્બર, ૨૦૨૫ ના શુભ દિને રંગાણી પરિવાર દ્વારા પરંપરાગત ધ્વજા રોહણનો અત્યંત ભવ્ય અને ભાવવાહી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
માતા ખોડલ પ્રત્યેની અતુટ શ્રદ્ધાના પ્રતીક સમા આ પ્રસંગે ધર્મ અને સંસ્કારનો અનોખો સંગમ જોવા મળ્યો હતો.
કાર્યક્રમનો પ્રારંભ સવારે ૯:૦૦ કલાકે થયો, જેમાં પરિવારના યુવા મોભીઓ શ્રી આકાશભાઈ રંગાણી અને શ્રી જયભાઈ રંગાણીએ તેમના પરિવારજનો સાથે મુખ્ય યજમાન તરીકે આસન ગ્રહણ કર્યું હતું.
પંડિતોના વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે નવી ધ્વજાજીનું વિધિસર પૂજન કરવામાં આવ્યું હતું. આ સમયે બાળાઓએ માતા ખોડલનો વેશ ધારણ કરીને શોભાયાત્રા કાઢી હતી, જેણે વાતાવરણને વધુ ભક્તિમય બનાવ્યું હતું.
પૂજન વિધિ પૂર્ણ થયા બાદ, બરાબર બપોરે ૧૨:૦૦ કલાકે, હજારો ભક્તજનોના સાક્ષીત્વમાં, ગગનભેદી “જય ખોડલ” ના નાદ સાથે મંદિરના શિખર પર ધ્વજા રોહણની પાવન વિધિ સંપન્ન થઈ હતી.
ધ્વજાના સાક્ષી બનવાની આ પળ રંગાણી પરિવાર માટે જીવનની એક યાદગાર પળ બની રહી હતી.
મુખ્ય કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ, રંગાણી પરિવાર દ્વારા બપોરે ૧૨:૩૦ કલાકે ભવ્ય ‘ખોડિયારની પ્રસાદી’ (મહાપ્રસાદ) નું આયોજન કરવામાં આવ્યું હતું. જ્ઞાતિજનો, સગા-સંબંધીઓ અને ભાવિક ભક્તજનો સહિત હજારો લોકોએ આ મહાપ્રસાદનો લાભ લીધો હતો.
આ પાવન અવસરે ખોડલધામ ટ્રસ્ટના અગ્રણી સભ્યોએ ઉપસ્થિત રહીને રંગાણી પરિવારની ભક્તિ અને સંસ્કારિતાને બિરદાવી હતી.
અહેવાલ – હાર્દિક ચંદારાણા
