
પાલીતાણા નગરપાલિકા દ્વારા દિવાળી સ્વચ્છતા અભિયાન શરૂ: સફાઈ, ડી.ડી.ટી. છંટકાવ
પાલીતાણામાં દિવાળી પૂર્વે ‘દિવસ-રાત્રી સ્વચ્છતા અભિયાન’ શરૂ: ચીફ ઓફિસર અને પ્રમુખની દેખરેખ હેઠળ સઘન સફાઈ અને ડી.ડી.ટી. છંટકાવ
પાલીતાણા. આગામી દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને પાલીતાણા નગરપાલિકાએ શહેરને સ્વચ્છ અને રોગમુક્ત બનાવવા માટે વ્યાપક સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું છે. ચીફ ઓફિસર શ્રી આર.પી. સોલંકી અને પ્રમુખશ્રી ભુપેન્દ્રસિંહ એસ. ગોહિલના સીધા માર્ગદર્શન અને દેખરેખ હેઠળ આ દિવસ-રાત્રી સફાઈ ઝુંબેશ સમગ્ર શહેરમાં ચલાવવામાં આવી રહી છે.
નગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારીશ્રીઓ દ્વારા શહેરના તમામ વોર્ડમાં વિસ્તાર મુજબ સફાઈ કામગીરીનું આયોજન કરવામાં આવ્યું છે. સફાઈ કામગીરીની સાથેસાથે, મચ્છરજન્ય રોગોના પ્રસારને રોકવા માટે ડી.ડી.ટી. (DDT) છંટકાવની ઝુંબેશ પણ સઘનપણે ચાલી રહી છે. આ અભિયાનમાં નગરપાલિકાના સફાઈ કામદારો, એજન્સીના કાર્યકર્તાઓ, અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ અને અન્ય સમગ્ર સ્ટાફવર્ગ સંપૂર્ણ સહયોગ આપી રહ્યા છે.
ચીફ ઓફિસર શ્રી આર.પી. સોલંકીએ જણાવ્યું હતું કે, “દિવાળીના તહેવારો દરમિયાન શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે અને રોગચાળો ન ફેલાય તે માટે આ વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. અમે પાલીતાણાના નાગરિકોને પણ વિનંતી કરીએ છીએ કે તેઓ શહેરને સ્વચ્છ રાખવામાં નગરપાલિકાને સહકાર આપે.” પ્રમુખશ્રી ભુપેન્દ્રસિંહ ગોહિલે આ અભિયાનની સફળતા માટે તમામ સ્ટાફ અને સહયોગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટ: જીશાન ખૂંટ
