
રાજકોટ: આમ્રપાલી બ્રિજ પર કોંગ્રેસનો ફિયાસ્કો
રાજકોટ આમ્રપાલી બ્રિજ: વિરોધમાં માત્ર 15 કોંગ્રેસી, નેતાઓ ગાયબ
રાજકોટ શહેરની શાન ગણાતા આમ્રપાલી બ્રિજ હાલ વાહનચાલકો માટે જોખમી બની ચૂક્યો છે. સતત પાણી ટપકવાને કારણે રસ્તો લપસણો થતાં બાઈક સ્લીપ થવાની ઘટનાઓ સામાન્ય બની છે. આ ગંભીર સમસ્યા સામે મહાનગરપાલિકાના નિંભર તંત્રને જગાડવા આજે કોંગ્રેસ દ્વારા એક અનોખા વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ આ આયોજન વિરોધ કરતાં પક્ષની આંતરિક નબળાઈનું પ્રદર્શન વધુ બની રહ્યું હતું.
હાથમાં પાવડા અને તગારા લઈને કોંગ્રેસના કાર્યકરો બ્રિજની સફાઈ કરવા મેદાને ઉતર્યા હતા. તેમનો મુખ્ય આક્ષેપ એ હતો કે કરોડોના ખર્ચે બનેલા આ બ્રિજમાં પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી અને તંત્ર માત્ર વીઆઈપી મુવમેન્ટ વખતે જ સફાઈ કરે છે. ગુજરાત પ્રદેશ શક્તિ સભાના ચેરમેન વૈશાલી શિંદે અને પ્રવક્તા સંજય લાખાણીએ તંત્ર પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે, જો તંત્ર કામ નહીં કરે તો વિરોધ પક્ષ સફાઈ કરશે. તેમણે ચીમકી ઉચ્ચારી હતી કે આ મામલે જરૂર પડ્યે PMO સુધી રજૂઆત કરવામાં આવશે.
જોકે, આજના આ વિરોધ પ્રદર્શનમાં મુદ્દા કરતાં કોંગ્રેસની પાંખી હાજરી ચર્ચાના કેન્દ્રમાં રહી હતી. શહેરના જ્વલંત પ્રશ્ન પર યોજાયેલા કાર્યક્રમમાં પ્રમુખ સહિતના મુખ્ય નેતાઓ ગાયબ રહ્યા હતા અને માત્ર ગણ્યાગાંઠ્યા 15 જેટલા કાર્યકરો જ જોવા મળ્યા હતા. કાર્યકરો સફાઈ અભિયાન શરૂ કરે તે પહેલાં જ ટ્રાફિક સમસ્યાના કારણોસર પોલીસે તેમની અટકાયત કરી હતી. આમ, પ્રજાના પ્રશ્ને વિરોધ નોંધાવવા ગયેલી કોંગ્રેસનું પ્રદર્શન નેતૃત્વના અભાવે ફિક્કું સાબિત થયું હતું.
સમાચાર માટે જોડાઓ અમારા WhatsApp ગ્રુપ સાથે https://whatsapp.com/channel/0029Vb6fknQ89inqYaFp2b3l
